શ્રાવણ મહિનો



images

શ્રાવણ મહિનો આવે એટલે થોડા બુદ્ધીવાદીઓ તરફથી સોસિઅલ મિડિયા પર એવા મતલબના મેસેજ ફરતા હશે કે શિવજી પર દૂધ વેડફશો નહિ ગરીબોના પેટમાં જાય તેવું કરો. જો કે મારા પર તો આવો કોઈ મેસેજ આવ્યો નથી. મેં પોતે વર્ષો પહેલા બરોડામાં કોઈ મહાદેવના મંદિરે આવી રીતે થોડા લોકોને ઉભેલા જોએલા, તેઓ ભક્તોને સમજાવી એક મોટા વાસણમાં દૂધ એકઠું કરતા હતા.
હું પોતે અંગત રીતે ભીખ આપવામાં માનતો નથી. જે ભીખારીઓ કાયમ ભીખ માંગતા હોય છે તેઓને ટેવ પડી ગઈ હોય છે ભીખ માંગવાની. એમને તમે કહેશો ચાલ આટલું કામ કરી આપ તને પૈસા આપીશ તો ઊભો નહિ રહે ભાગી જશે. મેં એવા અખતરા કરેલા છે. જ્યારે એક આદિવાસી દંપતીને પૈસાની જરૂર હશે તો મને કહે કોઈ કામ બતાવો તે કામનાં બદલામાં મને ૫૦ રૂપિયા આપજો.
હું એને ઓળખતો હતો અને તે અમારા બરોડાના મકાનનું કામ ચાલતું હતું ત્યારે સ્થળ ઉપર રહીને જ બંને જણા ત્યાં મજુરી કામ કરતા હતા. મેં કહ્યું મારી પાસે હાલ કોઈ કામ નથી તું તારે ૫૦ રૂપિયા લઈ જા. પણ કહે ના કોઈપણ કામ બતાવો તે કરીને પછી જ પૈસા લઈશ. મારે ના છુટકે મારા ભાઈના ઘરનું સફાઈ કામ કરવાનું બતાવવું પડ્યું. આવા જરૂરિયાત વાળા માનવોને ભીખ રૂપે નહિ મદદ રૂપે કશું પણ આપી શકાય. એમ શંકરના મંદિરમાં દૂધ ગટરમાં જ જશે તો શંકર કઈ રાજી થવાના નથી તે દૂધ આવા ભિખારી નહિ પણ જરૂરિયાત વાળા બાળકોના પેટમાં જશે તો શંકર અવશ્ય પ્રસન્ન થશે.
પરંપરાને સુધારી ચોક્કસ શકાય. પરંપરાને બહાને આપણે કેટલીય બીમારીઓ રીતી રીવાજને નામે સજાવી ધજાવીને રાખી છે. પણ જ્યારે કોઈ તર્ક બુદ્ધિની વાત કરે તો આવી બોદી પરમ્પરાઓ ઊભી કરનારાઓના પેટમાં તરત તેલ રેડાઈ જતું હોય છે, કે હજારો વર્ષ લગી આ પ્રજાને ઉલ્લુ બનાવી રાખી છે તે બંધ થઈ જશે. ગાંડા જેવી દલીલો કરી એમની બુદ્ધિનું પ્રદર્શન કરતા હોય છે. આખો શ્રાવણ મહિનો શંકરના લિંગ પર દૂધ વેડફવાને આ બુદ્ધુઓ તહેવાર કહેતા હોય છે. અલ્યા ભાઈ આ તહેવાર નથી બોગસ કર્મકાંડ છે. તહેવાર તો શિવરાત્રી છે જે કોણ નથી ઉજવતું? દિવાળી ધામધૂમથી આપણે ઉજવીએ જ છીએ. કોણ નથી ઉજવતું? અહિ અમે ઉજવીએ છીએ ને તમે બાકી રહેતા હશો? ફટાકડા તો ચીનાઓએ શોધ્યા છે ફટાકડા ફોડીએ તો જ ધરમ કર્યો કહેવાય? દિવાળી તહેવાર છે, સાવચેતી પૂર્વક કોઈને નુકશાન ના થાય તેમ ફટાકડા ફોડી ઉજવો પણ કોઈની ઘાઘરીમાં કે પેન્ટ કે લેંઘામાં ઘુસી જાય તેમ ફોડી એને લજવો નહિ. વર્ષમાં એકાદ દિવસ ભંગ પીવામાં પણ મજા છે. ભાંગના ભજીયા પણ મસ્ત બને. ના આવડે તો આમારા મુકેશ રાવલને પૂછી લેવું.
કૃષ્ણ તો જુગાર રમતા નહોતા. યુધિષ્ઠિર રમેલા તેના પણ વિરોધી હતા. એ જુગારના લીધે એમને અડધી રાત્રે દ્રૌપદીને વસ્ત્ર ઓઢાડવા દોડવું પડેલું. એ કૃષ્ણના જનમ દિવસે જુગાર રમવામાં જો કોઈને ધરમ દેખાતો હોય તો તે મહામુર્ખ છે. જુગાર તમારા જોખમે બારેમાસ રમો કોણ ના પડે છે?
અમારા સમિત પોઈન્ટમાં રહેતા વિષ્ણુભાઈ પટેલને મેં કહ્યું, “ વિષ્ણુકાકા આ શ્રાવણ મહિનામાં શિવજી પર દૂધ ચડાવી વેડફવાને બદલે જરૂરિયાતવાળાને આપો એવી એક ઝુંબેશનો ધર્મના જાતે બની બેઠેલા રખેવાળો તરફથી વિરોધ થાય છે. તમારું આ બાબતમાં શું કહેવું છે?”
કાકા તો એકદમ ઉકળ્યા, “ અલ્યા મારા દિયોર આખા સંસારનું નેટવર્ક જે ચલાવ સ ઇનઅ તમાર દૂધની એક થેલીની લોચ આલો સો? આ શ્વાસ જ ઈને આલ્યા સ ઇનઅ તમારી ટોયલી દૂધની હું જરૂર? મારા દિયોર અમૂલની એક કોથરીમાં તમારો ધરમ હમઈ જતો હોય તો અમૂલ ડેરીની દૂધની બધી પાઈપો માદેવજી પર વારી દ્યો. માદેવ બૌ ખુશ થઇ જસી. પણ રાઓલભઈ અતારે કોઈ ન સલા(સલાહ) આલવા જેવી નહિ નકોમું ગારો દે એવી પરજા સ.”
સાચી વાત છે કહી હું હસતા હસતા સ્ટોર પર આવવા ભાગ્યો.
આસ્થાનો સવાલ હોય તો તે આસ્થાનો પ્રવાહ છેવટે ગટરમાં સમાપ્ત થતો હોય, તો તેના બદલે કોઈના મુખમાં થઇ ભૂખ્યા જઠરમાં સમાપ્ત થાય તે વધુ સારું. આસ્થાઓ બદલી શકાય છે. આમેય બદલીએ જ છીએ. ક્યા નથી બદલાતા? ભગવાન આખા બદલી નાખો છો તો એક આસ્થા ના બદલાય? શંકરની આસ્થા સાઈબાબામાં ક્યા નથી બદલી? એ વખતે તો હિંદુ ધર્મનો નાશ થઈ જતો નથી.
ભગવાન શંકર શું છે? સકલ સૃષ્ટિના સર્જનાત્મક અને વિસર્જનાત્મક કુદરતી પરિબળો એટલે શંકર. શંકરનું મહત્વ હિન્દુઓને જ ખબર નથી. આખી દુનિયા આજે યોગા અને ધ્યાન પાછળ ગાંડી થઈ છે અને જે ધ્યાન દુનિયામાં બુદ્ધને નામે ચડ્યું છે તે ધ્યાનની ૧૦૮ પદ્ધતિઓ દુનિયામાં સર્વ પ્રથમ ભગવાન શંકરે પાર્વતીના એક સવાલના જવાબ રૂપે કહી છે તે રીતે ભારતીય પ્રાચીન શાસ્ત્રોમાં સચવાયેલ છે. અત્યારે રોજ નવી માતાઓ ફૂટી નીકળે છે ત્યારે પ્રાચીન ભારતમાં જે દસ મહાદેવીઓની પૂજા થતી તે તમામ માતા પાર્વતીના રૂપો છે. શંકર તાંડવ કરે ત્યારે જ્વાળામુખી ફાટે, ધરતીકંપ થાય, હરિકેન આવે, સુનામી આવે. દરિયો ખસી જાય ને તેની જગ્યાએ ઉત્તુંગ હિમાલય ઊભો થઈ જાય.
બાંધતા બાંધતા જ તૂટી જાય એવા પુલ બનાવી, પહેલા વરસાદે જ ઉખડી જાય એવા રોડ બનાવી શંકરનું અપમાન કરશો નહિ, નહી તો એ તમારો સંહાર કરી નાખશે.

Comments

Popular posts from this blog

Narsinh Mehta

ભારતમાતા